તંત્રમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાના પ્રયાસરુપે મોદી સરકાર આગામી દિવસોમાં વધુ કેટલાક કડક નિર્ણયો કરી શકે છે જેના માટે કેન્દ્ર સરકારે વિજિલન્સ વિભાગને ડોઝિયર તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે જેના તૈયાર કરાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી શરુ કરવા માટે દરેક વિભાગના વિજિલન્સને પોતાના કરપ્ટ ઓફિસર્સની યાદી તૈયાર કરવા જણાવ્યું છે.કેન્દ્ર સરકારના આદેશ બાદ દરેક વિભાગના વિજિલન્સ ડીપાર્ટમેન્ટને પોતાના કરપ્ટ ઓફિસર્સની યાદી તૈયાર કરવાનું શરુ કરી દીધું છે.
ગૃહમંત્રાલય પોતાના વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની યાદી તેના સર્વિસ રેકાર્ડને આધારે તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત વિજિલન્સ ડીપાર્ટમેન્ટે વિવિધ વિભાગના અધિકારીઓ સહિત પેરામિલિટ્રી ફોર્સને પણ જણાવ્યું છે કે, તેઓ પોતાની યાદી ૫ ઓગસ્ટ સુધીમાં કોઈપણ સંજોગોમાં તૈયાર કરી રાખે, જેથી આગળની કાર્યવાહી શરુ કરી શકાય.ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ તૈયાર કરવામાં આવનારું ડોઝિયર તેમના વિરુદ્ધ લોકોની ફરિયાદ, તપાસ રીપોર્ટ, તેમના આચરણ અને વ્યવહાર, કામ કરવાની ઉપેક્ષા જેવા માપદંડના આધારે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ અધિકારી વિરુદ્ધ નાનીમોટી આર્થિક પેનલ્ટી કરવામાં આવી હશે, તો તે વાતનો ઉલ્લેખ પણ ડોઝિયર તૈયાર કરતી વખતે કરવામાં આવશે.