ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બે પૌરાણિક પંથકો આવેલા છે એક તો ઝાલાવાડ અને બીજો પાંચાળ. પાંચાળ ભૂમિનું મુખ્ય નગર એટલે થાન. થાનના પૂર્વોત્તર ભાગમાં સૂર્યનારાયનનું મંદિર આવેલું છે જેને જુના સુરજદેવળ તરીકે ઓળખવામાં આવે છે. બાજુમાં સોનગઢ ગામ આવેલું છે ત્યાં વડીલમિત્ર અને જાણીતા ઇતિહાસવિદ રામકુભાઈ ખાચરની વાડી આવેલી છે. હમણાં એમને ત્યાં જવાનું થયું પહેલા તરણેતર અને ગેબીનાથની જગ્યામાં ગયો હતો અને ત્યાંથી સોનગઢ જઈ રહ્યો હતો વચ્ચે જુના સુરજદેવળ મંદિર આવે ત્યાં દર્શન કરવાની ઈચ્છા થઈ. મુખ્ય રસ્તા પરથી વળીને મંદીર તરફના માર્ગે વળ્યો ત્યાં જોયું તો સમગ્ર વિસ્તારનું ભુ-ખનન થઈ રહ્યું છે. મંદિરના મુખ્ય ભાગથી સહેજે 100 મીટર દૂર અંદાજે 100 ફૂટ કરતા વધારે ઊંડાઈનું ખનન કરવામાં આવ્યું છે. મંદિરના દર્શન કરીને રામકુમામાની વાડીએ ગયો. મામા સાથે આ ખનન વિશે વાત કરી. એમને પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું.
સૌપ્રથમ આ મંદિર વિશે આપને માહિતી આપું. કાઠી સમાજ અલગ અલગ જૂથોમાં અલગ અલગ સમયે સૌરાષ્ટ્રમાં આવ્યો. જેમાંથી એક ભાગ 13મી સદીના પૂર્વાર્ધમાં કચ્છ અને સિંધ પ્રાંતથી સ્થળાંતરિત થઈને પાંચળમાં આવ્યો. આ જૂથના વડા હતા વળોચ વાળા તેઓએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું અથવા જીર્ણોદ્ધાર કર્યાનું ઘણા ઇતિહાસવિદોએ નોંધ્યું છે. હું જીર્ણોદ્ધાર કાર્યની વાત સાથે વધારે સહમત થાઉં છું. કેમકે મેં એક સંદર્ભ એક કાશ્મીરી ઇતિહાસવિદની નોંધમાં વાંચ્યો હતો જેની જાણ મને રામકુમામાએ અગાઉની મુલાકાતમાં કરેલી. સૌરાષ્ટ્રનું પ્રાચીન નામ સૌર-રાષ્ટ્ર હતું. સૂર્યના સારથી અરુણનો પ્રદેશ એટલે અરુણાચલ પ્રદેશ અને સૂર્યદેવ સવારે ભરતખંડની ચર્યાએ નીકળે અને સાંજે ભરતખંડના પશ્ચિમી છેડા એટલે હાલના ગુજરાતના અરબી સાગરના કાંઠે વિશ્રાન્તિ લે એવી કલ્પના સાથે આ અભ્યાસ કરવામાં આવ્યો જેમાં પુરાતન સૌરાષ્ટ્રના નકશાના ઉભી મધ્યરેખા અને આડિ મધ્યરેખા દોરવામાં આવે તો જે કેન્દ્રબિંદુ બને એ સ્થાન હાલના જુના સુરજદેવળનું બને છે. એટલે પ્રાચીનતમ સૂર્યપૂજાના ઉપાષકોએ એ ધારણા પ્રમાણે આ મંદિર બહુ સમય પહેલા બનાવ્યું હશે એવું હું માનું છું. બીજી લોકવાયકા પ્રમાણે જ્યારે વળોચ વાળા જ્યારે થાનગઢ એટલે કે પાંચાળ આવ્યા ત્યારે તેઓના જૂથ પર જામ અબડાજીનું આક્રમણ ચાલુ હતું અને વળોચ વાળાએ સૂર્યદેવની આરાધના કરતા તેઓને ‘સાંગ’ નામનું હથિયાર આપ્યું હતું અને આજે પણ સાંગ જ કાઠીઓના મુખ્ય હથિયાર તરીકે ઓળખાય છે. વળોચ વાળા આસપાસના વિસ્તારના રાજપૂતો અને અગાઉથી આવેલા કાઠી સમાજના લોકોનો સહયોગ લઈને આ લડાઈ લડ્યા અને જીત્યા પણ ખરા. વળોચ વાળાએ પોતાના પુત્રી યુદ્ધમાં સાથ આપવા માટે આવેલા ઝાલોરના શાસક સાથે પરણાવ્યાં. આ શાસકનું નામ કેશવરાજ અથવા કેશવસિંહ હોવાનું મને યાદ છે. કદાચ જો આ નામમાં ભુલ હોય તો રામકુભાઈ ખાચર અહીંયા ધ્યાન દોરજો. આ જ સોનબાઇમાંના પુત્રોની પરંપરામાં આપા જાદરા થાય અને એમની જ પરંપરામાં હાલ દિલીપબાપુ ભગત અહીંયા મહંત તરીકે બિરાજે છે.
આટલો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી આ જગ્યાની અત્યારની હાલત જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. થાનના સ્થાનિક આગેવાનોએ આ બાબતે કાંઈક કરવું જોઈએ. આ બાબતે આજે કલેકટર ને રજુઆત જાણીતા પત્રકાર એવાં વિશ્વાસ શુક્લ એ કરી જણાવ્યું હતું કે આ પૌરાણિક ઈતિહાસીક ધરોહર હોય અને તેની નજીક માં કોઈ પણ પ્રકારના ખોદકામ થવા જોઈએ નહીં જે ખોદકામ ચાલે છે તે પણ ગૌચર જમીન હોય તાત્કાલિક અસરથી આ કામ તંત્ર એ બંધ કરાવવું જોઈએ આ મંદિર સુરજ દેવળ સાથે અનેક ભક્તો ની આસ્થા જોડાયેલી હોય અને મંદિર પણ પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત હોય તેમ છતાં નજીક માં ખનન થઈ રહ્યા છે દુઃખદ બાબત છે….