આરબીઆઈની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે કે કેમ તેને લઇને મોટાભાગના કારોબારીઓમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેઠક પહેલી ઓગસ્ટના દિવસે શરૂ થશે. પ્રથમ દિવસે જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ બુધવારના દિવસે એટલે કે બીજી ઓગસ્ટના દિવસે પરિણામ જાહેર કારશે જેમાં વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવે છે કે કેમ તેના ઉપર નજર રહેશે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિની બેઠકના પરિણામ આશ્ચર્યજનક પણ રહી શકે છે. રિઝર્વ બેંક તેની ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આ બાબતને લઇને સહમત દેખાઈ રહ્યા છે. ફુગાવો આરબીઆઈના ટાર્ગેટ કરતા ઓછો રહ્યો છે. સાથે સાથે મોનસુનની સ્થિતિ પણ અપેક્ષા મુજબની છે.