મનીષા પ્રધાન, અમદાવાદ
આજના જમાનાની મહિલાઓ ડિજિટલ પ્લેટફોર્મ સાથે આત્મનિર્ભર બની રહી છે. આત્મનિર્ભર અભિયાન થકી અનેક બહેનો પગભર બની રહી છે જેના કારણે ઘર, પરિવાર, સમાજ, રાજ્ય અને દેશમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરવાની બહેનોને તક મળી છે. સરકાર દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ સમાજની બહેનોને એક મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા મહિલાઓ સાથે ઈ-સંવાદનું આયોજન કરવામાં આવ્યું.
આત્મનિર્ભર ભારત અભિયાનમાં બહેનો ખૂબ મોટો ફાળો રહેલો છે. ઘર પરિવાર સાથે આર્થિક રીતે નાની મોટી બચત કરીને 10 બહેનોના ગ્રુપ દ્વારા સ્વ સહાય જૂથની રચના કરીને બચત ધિરાણ થકી અનેક બહેનોના જીવનમાં આજે બદલાવ આવ્યો છે.
ઈ- સંવાદમાં અમદાવાદનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિરમગામ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં તાલુકામાં આવેલા ૧૪૦૦ જેટલા સખીમંડળમાંથી કોવિડ ગાઇડલાઇન મુજબ અમુક બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકાની પાંચ સખી સંઘને રીવોલ્વીંગ ફંડ ચેક આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામા કુલ ૮ હજાર કરતાં વધારે સ્વ સહાય જૂથ આવેલા છે. જેમાથી આજરોજ દરેક તાલુકા અને ગામ દીઠ યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૬ સ્વસહાય જૂથને કુલ ૪૬.૯૦ લાખના સહાયના રિવોલ્વિંગ ફંડ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વિરમગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી તેજશ્રીબેન પટેલે બહેનોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.પ્રાસંગિક ઉદબોધનમાં વિરમગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દ્વારા ઉપસ્થિત રહેલા બહેનોને સખીમંડળની રચના થકી વિવિધ પ્રકારની કાર્યશૈલીથી આવકનો સ્ત્રોત કઈ રીતે ઊભો કરી શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે વિસ્તરણ અધિકારીશ્રી, બેંક સખી શ્રીમતિ અલકાબેન દવે, TLM શ્રીમતિ દિપીકાબેન લેઉવા, NRLM યોજનાના લાભાર્થીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, પદાધિકારીઓ જિલ્લા સદસ્યશ્રીઓ, કારોબારી અધ્યક્ષશ્રીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.