ઈરાકમાં લાપતા ૩૯ ભારતીયો અંગે હજી સુધી કોઈ નક્કર પુરાવા મળી શક્યાં નથી. જેથી ભારતમાં તેમના પરિજનોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હવે આ ઘટનાના પડઘા સંસદમાં પણ સંભળાયા છે. અકાલીદળના સાંસદે આ મુદ્દો સંસદમાં ઉઠાવતાં જણાવ્યું કે, લાપતા થયેલા લોકોમાં મોટાભાગના પંજાબના છે. જેથી સરકાર તેના પર જવાબ આપે તેવી મારી માગ છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સામે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી. કોંગ્રેસે વિદેશપ્રધાન પર સંસદને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે, સુષમા સ્વરાજે ઈરાકમાં બધાંજ ભારતીય નાગરિકો જીવતાં હોવાની વાત જણાવી હતી. જોકે સરકાર પાસે આ અંગે કોઈ ચોક્કસ પુરાવા ન હતાં.
આ દરમિયાન ભારતીય વિદેશપ્રધાન સુષમા સ્વરાજે તેમના ઈરાકી સમકક્ષ ઈબ્રાહિમ અલ જાફરી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લાપતા ભારતીયો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ઈરાકમાં લાપતા થયેલા ભારતીયો અંગે ઈરાકી વિદેશપ્રધાન ઈબ્રાહિમ અલ જાફરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઈરાકી વિદેશપ્રધાને જણાવ્યું કે, ઈરાક સરકાર પાસે લાપતા થયેલાં ૩૯ ભારતીય નાગરિકો અંગે કોઈ જ જાણકારી નથી.કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું કે, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી ભ્રામક છે. તેમણે ચિંતા કરવી જોઈએ કે, શું તેઓ ખરેખર જીવતાં છે ખરા?આપને જણાવી દઈએ કે, સંસદમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ભારતીય નાગરિકો ઈરાકમાં જીવતા હોવાનો દાવો કર્યો હતો. આ ભારતીયો વર્ષ ૨૦૧૪માં લાપતા થયાં હતાં. જે અંગે સુષમા સ્વરાજે શક્યતા વ્યક્ત કરી હતી કે, ભારતીય નાગરિકો ઈરાકની જેલમાં પણ કેદ હોઈ શકે છે. વધુમાં સુષમાએ એમ પણ જણાવ્યું હતું કે, ઈરાકમાં ચાલી રહેલો આંતરિક ગતિરોધ સમાપ્ત થયા બાદ આ અંગે વિસ્તૃત માહિતી મળી શકે. સુષમા સ્વરાજે ઈરાકમાં લાપતા ભારતીયોના પરિજનો સાથે મુલાકાત દરમિયાન તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર દરેક ભારતીયોને પરત લાવશે.