સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગરના જાણીતા ખોડિયાર માતાના મંદિર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડ દ્વારા તથા ખોડિયાર મંદિર ટ્રસ્ટના સહયોગથી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘણાં સમયથી કોરોનાના પ્રસરણને અટકાવવાં માટે રાજ્ય સરકાર દ્વારા મંદિરોને ભાવિક ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં હતાં. હવે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે ત્યારે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરના પાલન સાથે મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તે અંતર્ગત રાજપરાનું જાણીતું ખોડિયાર માતાનું મંદિર પણ ભાવિક ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.
ત્યારે મંદિર પરિસરમાં કાર્યરત લોકોને કોરોનાથી સંરક્ષિત કરી સમગ્ર પરિસર કોરોના મુક્ત બને તે માટે કોરોનાની રસી આપવામાં આવી હતી.
ઉસરડના મેડિકલ ઓફિસર ડો.દર્શનભાઇના માર્ગદર્શન હેઠળ રાજપરા ગામના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરશ્રી ભટ્ટનાગરભાઈ, ફિમેલ હેલ્થ વર્કરશ્રી હસુબહેન, C.H.O. શ્રી દેવયાનીબેન ગોંડલીયા, M.P.H.S. શ્રી રામદેવસિંહ ચુડાસમા તથા આશાવર્કરશ્રી મનિષાબેન ગોસ્વામી તથા શ્રી સુનિતાબેન સોલંકી વગેરે આશા બહેનોની ટીમ દ્વારા રાજપરા ખોડિયાર મંદિર ખાતે ટ્રસ્ટમાં કાર્યરત લોકો તથા મંદિરની આજુબાજુમાં હોટલો અને દુકાનો ધરાવતા લોકોને તથા માલિકોને કોરોના રસીકરણ અન્વયે ૧૮ થી ૪૫ વર્ષના લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી કોરોનાથી સંરક્ષિત કરવામાં આવ્યાં હતાં.