એક તરફ આખી દુનિયા કોરોના મહામારી સામે લડવામાં વ્યસ્ત છે ત્યારે ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં સૈન્ય શાસન સતત નિરંકુશ બની રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મ્યાંમારની સેનાના પ્રમુખે દેશની ચૂંટાયેલી સરકારનો તખ્ત પલટી દીધો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં મ્યાંમારમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સૈન્ય શાસને હજારો લોકોને કસ્ટડીમાં લીધા છે અને અનેક લોકો એવા છે જેમના વિશે તેમના પરિવારને પણ જાણ નથી કરાઈ.મ્યાંમારમાં નિરંકુશ થઈ રહેલા સૈન્ય શાસનથી બચવા માટે અનેક લોકો સરહદ પાર કરીને ભારતીય રાજ્ય મિઝોરમમાં દાખલ થયા છે. મિઝોરમ સરકારે આ લોકોને કામચલાઉ શરણ પણ આપ્યું છે તથા તેમના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી છે. જો કે, ભારત સરકારના સત્તાવાર નિવેદનમાં સરકારે તેમને શરણાર્થી નથી માન્યા.
મ્યાંમારની સૈન્ય સરકારે ગત મહિને મિઝોરમ રાજ્યને પત્ર લખીને મ્યાંમારના નાગરિકો ભારત પાછા મોકલે તેવી માંગણી કરી હતી. આ પત્રમાં ભારત અને મ્યાંમારના સારા સંબંધોનો હવાલો પણ આપવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકના કહેવા પ્રમાણે ભારત આવનારા મ્યાંમારના નાગરિકોની સંખ્યા આશરે ૪થી ૬ હજાર જેટલી છે. જ્યારે માર્ચથી એપ્રિલ દરમિયાન આશરે ૧,૭૦૦ લોકો શરણાર્થી બનીને થાઈલેન્ડ પહોંચ્યા છે.ભારત સરકારે મ્યાંમારમાં વ્યાપેલી હિંસા રોકવા વિનંતી કરી છે.
ભારતે મ્યાંમારની વર્તમાન સરકારને કસ્ટડીમાં પુરવામાં આવેલા તમામ પ્રદર્શનકારીઓ અને નેતાઓને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી કરી હતી. ભારત વર્તમાન પરિસ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. ભારતે આસિયાન દેશો દ્વારા કરવામાં આવેલી પહેલનું પણ સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આસિયાને મ્યાંમારમાં સીઝફાયરની વિનંતી કરી છે.
પાછલી પોસ્ટ