મક્કમ મનોબળ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં અડગ રાખીને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર બનાવે છે. અમદાવાદના ૯૯ વર્ષના વૃદ્ધાએ માત્ર ૪ દિવસમાં કોરોનાને મહાત આપી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરથી બહાર ક્યારેય એકલા ન ગયેલા ૯૯ વર્ષના સામુબેનને બાજુમાં સારવાર લઈ રહેલા યુવાને હિંમત આપી અને બા પોતે ૪ દિવસમાં જ સજા થઈ ગયા હતાં. સામુબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ત્યારે તેમની બાજુમાં અન્ય ખાટલા પર કોરોનાની સારવાર મેળવી રહેલા ૩૦ વર્ષીય નવયુવાન મૌલિક એકલા બેસેલા બાને નિહાળે છે. તેમની સમીપે જંઇ તેમની તકલીફ જાણવાની કોશિષ કરે છે. ત્યારે ખબર પડે છે કે તેઓ મુંઝાઇ રહ્યા છે. પરિવારને યાદ કરી રહ્યાં છે. તેમના પરિવારને નિહાળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે. પરંતુ તેનો માર્ગ જડી રહ્યો નથી. કેમકે સામુબેનને તો મોબાઇલ ચલાવતા પણ નથી આવડતો અને વોર્ડમાં કોઇને કહેતા પણ અચકાય છે.
આવી પરિસ્થિતિમાં પડોશીધર્મ શું હોય તેનું “મૌલિક”ઉદાહરણ મૌલિકે પુરુ પાડ્યુ. તેણે સામુબા જ્યાર સુધી વોર્ડમાં દાખલ રહ્યાં તે દિન સુધી શ્રવણ બનીને બા ની મદદ કરી. સામુબાને જ્યારે જ્યારે પોતાના પરિવારજનો સાથે વાત કરવાની, વીડિયો કોલ કરીને તેમને નિહાળવાની ઇચ્છા થતી મૌલિક ફોનથી સંપર્ક કરાવતો. બાને જ્યારે પણ એકલાપણું અનુભવાતુ તે બાથી વાતચીત કરીને દૂર કરતો.
આ કિસ્સાની શરૂઆત ત્યારે થઇ જ્યારે ૯૯ વર્ષીય સામુબેન ચૌહાણ કોરોનાગ્રસ્ત થયા. તેમનું ઓક્સિજનનું લેવલ પણ ઘટવા લાગ્યું. ત્યારે તેમના પૌત્ર વિશાલભાઇ તેમને આકસ્મિક સંજોગોમાં મિત્રની ગાડી લઇ ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. સિવિલની કોરોના ૧૨૦૦ બેડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓક્સિજન લેવલ ૯૦ પહોંચી ગયુ હતુ. જેથી ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.
વોર્ડમાં દાખલ થયા ત્યારે તબીબો સતત દેખરેખ રાખતા હતા. સામુબેનના મજબૂત મનોબળે કોરોના પણ હંફાવી દીધો. ચાર દિવસના ટૂંકા ગાળામાં જ સામુબેન સજા થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ સામુબેને તબીબોનો આભાર માન્યો હતો, અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાખવામાં આવેલી દેખરેખ, નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સારસંભાળ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. આ અંગે સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ.જે.વી. મોદીએ જણાવ્યુ હતું કે, ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં મોટી વયના દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત છે. જેમા વયસ્ક દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને કેટલીક ખાસ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ