દેશમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનું પગલું ભરશે કે નહીં તે એક પ્રશ્ન છે. પરંતુ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારનો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેરા કરવાનો કોઈ ઈરાદો નથી. જો કે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ટ્રાન્સમિશનની ચેઈનને તોડવા માટે અને કોવિડ-૧૯ના વધતા વ્યાપને નિયંત્રણમાં લાવવા માટે કડક પગલાં લે. કોરોનાના કેસમાં દરરોજ થતા સતત વધારા તેમજ હોસ્પિટલોની સ્થિતિ જોઈને ઘણાં રાજયોએ સખત નિયંત્રણો મૂકયા છે.
લગભગ ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઓછા-વત્તા પ્રમાણમાં નિયંત્રણો મૂકયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે કે, ૧૫ ટકાથી વધારે કોરોના પોઝિટિવ રેટ હોય તેવા ઓછામાં ઓછા ૧૫૦ જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરવામાં આવે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ કોરોના ટાસ્કફોર્સના લોકોને ચિંતા છે કે કુંભ મેળામાંથી પાછા ફરેલા લોકો સુપર-સ્પ્રેડર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ દેશભરમાં ૩.૯૨ લાખ નવા કેસ નોંધાયા હતા જેમાંથી ૭૩ ટકા કેસ ૧૦ રાજયોના છે. આ દસ રાજયોમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. પાછલા દસ દિવસથી દરરોજ ત્રણ લાખથી વધારે કેસો નોંધાય છે, જેના કારણે હોસ્પિટલો, શબઘરો અને સ્મશાનોમાં લાંબી કતારો જોવા મળે છે. અનેક રાજયોમાં દર્દીઓ અને તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં બેડ, ઓકિસજન સપોર્ટ અને જરૂરી દવાઓ મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જો કે, કેન્દ્રને ચિંતા છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કરવામાં આવે તો અર્થતંત્રને મોટું નુકસા નથશે તેમજ અનેક લોકો બેરોજગાર થઈ જશે, જેમાં ખાસકરીને પ્રવાસી મજૂરોને મોટું નુકસાન થશે. રાજયમાં કેટલા અને કયા પ્રકારના નિયંત્રણો મૂકવા તેની કેન્દ્ર સરકારે રાજયોને છૂટ આપી છે. આ સિવાય નાની હોસ્પિટલો અને નર્સિંગ હોમને કોરોના હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેના પ્રયાસો કરવાની પણ સલાહ આપી છે. આ સિવાય હોટલો, સ્ટેડિયમ વગેરે સ્થળોએ કોવિડ કેર સેન્ટર ખોલવાના સૂચન આપ્યા છે.