ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, સરકાર દ્વારા ગુજરાતમાં કરતા ટેસ્ટિંગમાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૩ એપ્રિલે ૧.૮૯ લાખના ટેસ્ટિંગ સામે ૨ મેએ ૧.૩૭ લાખના જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. આ રીતે સરકાર કેસમાં ઘટાડો કરી શું કરવા ઈચ્છે છે તે અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, લોકોએ કોરોનાને લઈને સાવચેત રહેવાની જરૂર છે.
પહેલાં એક ડોમ પર ૨૦૦થી ૨૫૦ કીટ પહોંચતી હતી. હવે એક ડોમ દીઠ માત્ર ૧૦૦ કીટ જ અપાઈ રહી છે. હાલમાં દરેક ડોમ પર બે શિફ્ટમાં ટેસ્ટિંગ થાય છે. જેમાં એક શિફ્ટમાં માત્ર ૫૦ કીટ જ અપાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રેપીડ ટેસ્ટની કિટમાં કાપ મૂકાયો છે. જો કે લોકો હવે ઇ્ઁઝ્રઇ ટેસ્ટ તરફ વધુ પ્રમાણમાં વળી રહ્યાંનું પણ લાગી રહ્યું છે.
ગત એપ્રિલ મહિનાની ૨૩ તારીખથી ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૩ એપ્રિલના રોજ ગુજરાતમાં ૧.૮૯ લાખ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો પોઝિટિવ રેટ ૭.૩ હતો. ત્યારબાદ ઉતરોતર ઘટાડો કરવામાં આવ્યો છે. ગત રોજ ૨ મેના રોજ ૧.૩૭ લાખ લોકોનું જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેનો પોઝિટિવ રેટ ૯.૪ આવ્યો હતો. છેલ્લા ૧૦ દિવસમાં જ ૫૨ હજાર લોકોના ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો વાઈરસની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં એપ્રિલ મહિનો ખૂબ જ ભારે રહ્યો છે જેમાં પ્રજાએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે એપ્રિલ મહિનાના અંતમાં કોરોના વાઈરસ ધીમો પડ્યો અને તે બાદ મે મહિનાથી તો કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે ત્યારે ગુજરાતમાં ટેસ્ટિંગ પણ ઘટ્યું છે.
ગુજરાત એપ્રિલ મહિનાથી જ સતત ટેસ્ટિંગ ઘટાડવાની શરૂઆત કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ૨૩મી એપ્રિલે જ્યારે ૧ લાખ ૮૯ હજાર ૯૦૨ સેમ્પલના ટેસ્ટ કરાયા હતા ત્યારે ૧૩૮૦૪ કોરોના કેસ નોંધાયા હતા પરંતુ ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો કરવામાં આવ્યો અને મહિનાના અંતે ૩૦ એપ્રિલે ૧૬૯૩૫૨ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, અને ઓછા ટેસ્ટ થયા હોવા છતાં સૌથી વધુ ૧૪,૬૦૫ કેસ નોંધાયા હતા.
શહેરોમાં કોરોના વાઈરસના ટેસ્ટ માટે ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમાંથી મોટા ભાગના ડોમ બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હેલ્થ સેન્ટરમાં પણ બપોરે ૧૨ વાગ્યા બાદ ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોઈ તકલીફ ન હોય તો ટેસ્ટ પણ કરવામાં આવ્તો નથી. રાજ્યમાં ટેસ્ટિંગ કીટ ઓછી નથી એવા તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે ટેસ્ટની સંખ્યામાં કેમ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે તેના પર સવાલ ઊભા થાય છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના ૧૨૯૭૮ નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે ૧૫૩ લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ ૧૧૧૪૬ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૪૪૦૨૭૬ દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૧૫૩ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૭૫૦૮ લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ ૭૨૨ લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો ૧,૪૬,૮૧૮ પર પહોંચ્યો છે.
આગળની પોસ્ટ