કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીમાં રહેતા ૨૪ વર્ષના યુવકને વિઝા આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરને ભારતનો જ અભિન્ન ભાગ ગણાવતા સુષ્માએ સ્પષ્ટપણે કહી દીધુ કે આ વિઝા માટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાઝ અઝીઝના પત્રની કોઈ જ જરૂર નથી.
પાકિસ્તાને ગેરકાયદેસર રીતે આ તેના ઉપર કબજો જમાવ્યો છે.અત્રે જણાવવાનું કે પીઓકેમાં રહેતા ૨૪ વર્ષના ઓસામા અલીને સારવાર માટે ભારત આવવું છે. પરંતુ તેને પાકિસ્તાન તરફથી કોઈ મંજૂરી મળી રહી નહતી.
ઓસામાના લિવરમાં ટ્યૂમર છે જેનો તે દિલ્હીમાં ઈલાજ કરાવવા માંગે છે.
આ માટે નક્કી પ્રક્રિયા મુજબ સરતાઝ અઝીઝે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પત્ર લખવાનો હતો પરંતુ તેમણે એમ ન કર્યું જેના કારણે ઓસામાને વિઝા મળતા નહતાં. હકીકતમાં સુષમાએ એકવાર સ્પષ્ટ કર્યુ હતું કે જો ભારતમાં સારવાર કરાવવા માંગતા પાકિસ્તાની નાગરિકો મેડિકલ વિઝા ઈચ્છતા હોય અને સરતાઝ અઝીઝની ભલામણ સાથે આવશે તો તેમને તરત વિઝા આપી દેવામાં આવશે. પરંતુ આ મામલે અઝીઝના પત્ર વગર જ સુષ્માએ વિઝા આપવાનો નિર્ણય લીધો છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ સુષ્માએ પાકિસ્તાનની કેન્સર પીડિત વ્યક્તિ ફૈઝા તનવીરના મેડિકલ વિઝા મામલે ભારત સરકારના સ્ટેન્ડને સ્પષ્ટ કરતા બેવડા માપદંડો માટે પાકિસ્તાનને ખુબ જ સંભળાવ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના માતા અવંતિકા જાધવને વિઝા ન આપવા બદલ પાકિસ્તાનની ટીકા પણ કરી હતી. સુષમાંએ લખ્યું હતું કે મેં પોતે અંગત રીતે સરતાઝ અઝીઝને એક પત્ર લખ્યો અને અવંતિકા જાધવને પાકિસ્તાન જવા માટે વિઝા આપવાનો આગ્રહ કર્યો હતો. આમ છતાં અઝીઝે મારા પત્ર પ્રાપ્તિની સૂચના આપવાનો પાયાનો શિષ્ટાચાર સુદ્ધા નિભાવ્યો નથી