પ્રતિ વર્ષે તા.૨૪ મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની કરાતી ઉજવણી ભાગરૂપે આજે રાજપીપલામાં જનરલ હોસ્પિટલના પટાંગણમાં ક્ષય કેન્દ્ર ખાતેથી જનજાગૃત્તિ રેલી યોજાઇ હતી. આ રેલીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવાએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રીમતી રૂચિકાબેન વસાવા સાથે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. એસ.એ. આર્ય, તાલુકા બ્લોક ઓફિસરશ્રી ડૉ. સુમન સહિતના આરોગ્ય અધિકારીશ્રીઓ-કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ વગેરે આ રેલીમાં જોડાયા હતાં. જનરલ હોસ્પિટલ કેમ્પસ ક્ષય કેન્દ્ર ખાતેથી પ્રસ્થાન થયેલી આ રેલી સ્ટેશન રોડ થઇ બ્લડ બેંક-રેડક્રોસ ખાતે પહોંચતા તેનું સમાપન થયું હતું. રેલી દરમિયાન ટીબી સામેની લડત ટીબી નિર્મુલનમાં ફેરવીએ, Zero Death From TB in my Life Time, આવો સાથે મળીને ટીબીને રોકીએ, ટીબી રોગના નિદાન માટે બે ગળફાની તપાસ દરેક સરકારી દવાખાનામાં મફત થાય છે, બે અઠવાડીયાથી વધારે સમયથી ખાંસી આવતી હોય તો ટીબી રોગ હોઇ શકે છે, જેવા ફ્લેગ-બેનરો સાથેની આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી અને ટીબી રોગના લક્ષણો અને તેની સારવાર સંદર્ભે લોકજાગૃત્તિનો સંદેશો અપાયો હતો.
પાછલી પોસ્ટ