પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને ભાજપ એકવાર ફરીથી આમને સામને આવી ગઇ છે. રાજ્ય સરકારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભા માટે નેતાજી ઇનડોર સ્ટેડિયમ આપવાથી ઇન્કાર કરી દીધો છે. ભાજપે પોતાની નારાજગી વ્યક્ત કરતા તેને રાજકીય બદલાની કાર્યવાહી અને બિનલોકશાહી હોવાનું કહ્યુ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે પંચાયત ચુંટણી પ્રચાર માટે અમિત શાહ ૯ એપ્રિલના રોજ કોલકત્તા આવી રહ્યા છે. ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાને પગલે ખુલ્લી જગ્યામાં સભાનું આયોજન કરી શકાશે નહીં. એટલા માટે અમે નેતાજી ઇનડોર સ્ટેડિયમ માટે લેખિત અરજી આપી હતી. મેનેજમેન્ટે મૌખિક રીતે જણાવ્યું કે ૯ એપ્રિલના રોજ સ્ટેડિયમ ભાડે આપી શકાશે નહીં, કારણ કે તે દિવસે સ્ટેડિયમ પર મેચનું આયોજન કરવામાં આવ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે રાજ્ય સરકાર નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ આપે કે ન આપે, પરંતુ અમિત શાહની સભા યોજાઇને જ રહેશે. પાર્ટી તેમની સભા માટે બીજા કોઇ સ્થળની વ્યવસ્થા કરી રહી છે. આ પહેલા વર્ષ ૨૦૧૫માં મુખ્યમંત્રી મમતા બેનર્જીના આદેશ પર કોલકત્તા પોલીસે ધર્મતલ્લાના વિક્ટોરિયા હાઉસ સામે શાહની સભાને પરવાનગી આપવાથી ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટના આદેશ બાદ ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઘોષે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ ન આવી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા અડચણો ઉભી કરતી રહી છે. સભા યોજવા માટે ભાજપે કોર્ટમાં જવું પડે છે. બંગાળમાં લોકશાહી નામની કોઇ વસ્તુ જ રહી નથી.
આગળની પોસ્ટ