ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનું સરોવર ખાલી થવા લાગ્યું છે. ડેડ સ્ટોરેજમાંથી બાયપાસ ટનલ મારફતે મુખ્ય નહેરમાં ઠલવાતાં પાણીને કારણે સરોવરની સપાટી ઝડપથી નીચે સરકી રહી છે.
ક્વાંટ તાલુકાના હાંફેશ્વર કિનારા પર હાંફેશ્વર શિવ મંદિરનો ગુંબજ ૨૦ ફૂટ બહાર દેખાવા લાગ્યો છે. ટોપ સ્લેબ સુધીનું લેવલ દસ દિવસ પહેલા હતું તેનાંથી હવે આઠ ફૂટ સરોવરનું લેવલ ઘટતાં મંદિર પરિક્ષેપનો આખો માળ ખુલ્લો થઈ ગયો છે. તે સાથે જ મંદિરની આગળના નાના ગુંબજ પણ ખુલ્લા થઈ જતાં આખું મંદિર પરિસર ટોપ લેવલથી સ્પષ્ટ થવા લાગ્યું છે. જે ગતિથી પાણીની સપાટી ઊતરી રહી છે તે ક્રમે હજી પણ પાણી ખાલી થશે તો આગામી દસ દિવસમાં જમીન સહિત હાંફેશ્વર મંદિર પરિસર ખુલ્લું થઈ જશે, તે નિશ્ચિત છે.
નર્મદા સરોવરનો કવાંટ તાલુકાનો હાંફેશ્વરનો કિનારો નર્મદા યોજના, પર્યટન વિભાગ તથા છોટાઉદેપુર જિલ્લા માટે મહત્વનો માઇલસ્ટોન ગણાય છે. ત્યારે નર્મદા સરોવરની ઘટતી સપાટી સાથે હાંફેશ્વર પાસેના શિવ મંદિર તથા કિનારા પાસેની જૂથ પાણી પુરવઠા યોજનાઓ પણ અત્યંત મહત્વ ધરાવે છે.નર્મદા સરોવરના ઉપરવાસમાં મધ્યપ્રદેશના સ્ત્રાવ વિસ્તારમાં ચોમાસામાં ઓછો વરસાદ થયો છે, જેથી પાણી ઘણું ઓછું આવે છે.
નર્મદા સરોવરમાં લાઇવ સ્ટોરેજ ક્યારનું ય ખતમ થઈ ગયું છે. નર્મદાના ડેડ સ્ટોકમાંથી બાયપાસ ટનલ મારફતે પમ્પિંગ કરી નર્મદા નહેરમાં ઠલવાતા પાણી ચોવીસે કલાક એટલી માત્રામાં વપરાઈ રહ્યા છે કે, સરોવરની જળસપાટી સડસડાટ નીચે ઊતરી રહી છે. હાંફેશ્વરનું શિવમંદિર દસ દિવસ પહેલા જેટલું ખુલ્લું હતું. તેની તુલનાએ હાલમાં એક આખો માળ ખુલ્લો થઈ ગયો છે. હવે આ સપાટીએ મંદિરના મુખ્ય ગુંબજ આગળના ભાગે આવેલ નાના નાના તમામ ગુંબજ ખુલ્લા થઈ જતાં હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.મંદિર પરિસરમાં જેઓ જઈ આવ્યા છે તેઓ આ દૃશ્યો જોઈને સમજી શકે છે કે, હવે મંદિર માત્ર આઠથી દસ ફૂટ જેટલું જ ડૂબેલું રહે છે. હવે પાણી બીજા દસ દિવસ પછી એ રીતે જ ઊતરશે તો આખું મંદર પરિસર અને જમીનનો ભાગ સાવ કોરોધાકડ થઈ ગયેલો જોવા મળશે, તેમ સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે.