છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટમાં આવેલો સુખી ડેમ સુકોભઠ્ઠ થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. છોટાઉદેપુરનો સુખી ડેમ જ નહીં પણ જિલ્લામાં આવેલા તમામ પાણીના સ્ત્રોતો સુકાઈ ગયા છે.
ભર ઉનાળામાં ડેમનું તળીયુ દેખાઈ આવતા ખેડૂતોને ઉભા પાકને મોટુ નુકસાન થવાની ભીતિ છે.છોટાઉદેપુરની પૂર્વ પટ્ટીના આદિવાસી લોકો માટે જો કોઈ પાણીનો સ્ત્રોત હોય તો તે આ સુખી ડેમ છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોને જે ડેમમાંથી સિંચાઈનું પાણી મળે છે એ ડેમ આજે પાણી વગર સુકાઈ ગયો છે. આશરે ૪૦ વર્ષ પહેલા આ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે ડેમ માત્ર ૬૦ ટકા જેટલો ભરાયો હતો. ત્યારે ઉનાળામાં સુખી ડેમનું તળીયુ દેખાઈ આવ્યું છે.
ડેમનું તળિયું દેખાઈ આવતા અધિકારીઓ આ વર્ષે ઓછા વરસાદનું કારણ બતાવી રહ્યા છે. પરંતુ ખેડૂતોને ઉનાળામાં પાણી ના મળતા પાણી માટે કકળાટ કરવો પડી રહ્યો છે. તો ઉભા પાકને મોટુ નુકસાન થવાની ભીતિ છે. ડેમમાં પાણી ના હોવાના કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું બંધ કરાયું છે. જેના કારણે સુખી ડેમની માઈનોર કેનાલો પણ સુકાઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, કરોડોના ખર્ચે સરદાર સરોવરોનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવે છે. પરંતુ નર્મદાનું પાણી સુખી ડેમમાં લાવવામાં આવતું નથી. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સમયસર પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી બનવાની શક્યતા છે.