બોલિવુડ કલાકાર રાજપાલ યાદવને ચેક બાઉન્સ મામલે ૨૩ માર્ચનાં અદાલતે સજા સંભળાવી છે. દિલ્હીની કડકડડૂમા કૉર્ટે તેને ૬ મહિનાની જેલની સજા સંભળાવી હતી. જો કે અદાલતે ત્યારબાદ અભિનેતાને જમાનત આપી હતી. રાજપાલ યાદવ સામે ૭ કેસ છે. રાજપાલે પ્રતિ કેસ ૧.૬૦ કરોડ રૂપિયા દંડ ભરવો પડશે. ચેક બાઉન્સ મામલે ૧૪ એપ્રિલનાં પણ સુનાવણી થઇ હતી. મુખ્ય ન્યાયાધિશ અમિત અરોડાએ ફિલ્મ બનાવવાનાં નામે ૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે રાજપાલ યાદવને દોષી ગણાવ્યો હતો. સોમવારે પણ આ કેસની સુનાવણી થઇ હતી.અદાલતે છેતરપિંડીનાં મામલે રાજપાલ યાદવની પત્નીને પણ દોષી ગણાવી હતી. અદાલતે અભિનેતાની પત્ની પર પ્રતિ કેસ ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો રાજપાલ અને તેની પત્નીએ આ દંડ ના ભર્યો તો તેમની સજામાં વધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજપાલને આ પહેલા ૨૦૧૩માં નકલી દસ્તાવેજ જમા કરાવવાનાં કારણે તિહાડ જેલની હવા ખાવી પડી હતી.રાજપાલ યાદવે ૨૦૧૦માં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી ‘અતા પતા લાપતા’ નામની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવા આર્થિક સહાયતા માંગી હતી. કંપનીએ તેને ૫ કરોડ રૂપિયાની લૉન આપી હતી. એગ્રીમેન્ટ અનુસાર અભિનેતાએ ૮ ટકા વ્યાજ સાથે આ રકમ પરત કરવાની હતી. અભિનેતા આ રકમ ચુકવવામાં ૩ વખત નિષ્ફળ ગયો હતો. એગ્રીમેન્ટ રિન્યૂ થતા અભિનેતાએ ૧૧ કરોડ રૂપિયા આપવાનાં નીકળતા હતા, પરંતુ રાજપાલ આ રકમ આપી શક્યો નહોતો.