જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા અવિરત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ કાર્યવાહી કરતા પાકિસ્તાનની એક ચોકી નષ્ટ થઇ છે. આજે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની કાર્યવાહીમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. આ ગાળા દરમિયાન બન્ને તરફથી ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરના પુછના મેઢર સેક્ટરમાં સેનાએ જોરદાર કાર્યવાહી કરી હતી. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી કોઇ પણ ઉશ્કેરણી વગર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયુ છે. તેના પાંચ જવાનો માર્યા ગયા છે. ભારતીય જવાનોએ પાકિસ્તાનની એક ચોકી પણ ફુંકી મારી હતી. આ કાર્યવાહીમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશમીરમાં કેટલાક નાગરિકો પણ ઘાયલ થયા છે. તે પહેલા બીએસએફે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જમ્મુ કાશ્મીરના સાંબા સેકટરમાં પાકિસ્તાની ગોળીબારમાં શહીદ થયેલા જવાનનો બદલો બીએસએફે ૨૪ કલાકની અંદર લીધો હતો. બીએસએફે પાકિસ્તાનની સામે મોટી કાર્યવાહી કરીને તેની બે ચોકી ફુંકી મારી હતી. સુત્રોએકહ્યુ છે કે આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા આઠ-૧૦ પાકિસ્તાની રેન્જર્સના મોત થયા હતા. બીએસએફ પ્રવકતાએ કહ્યુ હતુ કે જવાનોએ બે પાકિસ્તાની મોર્ટાર અંગે માહિતી મેળવી લીધી હતી. જેને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આના કારણે ચોકીઓને નષ્ટ કરી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સેનાને કોઇ મોટી સફળતા મળી રહી નથી.
આગળની પોસ્ટ