કાશ્મીરી અલગતાવાદી નેતાઓએ એનઆઈએ અને અન્ય તપાસ સંસ્થાઓની કાર્યવાહીથી નારાજગી વ્યક્ત કરી છે. હવે ટોપ ત્રણ કાશ્મીરી અલગતાવાદી નેતાઓએ આજે કહ્યું હતું કે, ૯મી સપ્ટેમ્બરના દિવસે દિલ્હીમાં એનઆઈએ હેડક્વાર્ટરની બહાર ધરણા યોજવામાં આવશે. એનઆઈએની ઓફિસ ખાતે ધરપકડ વ્હોરવાના પ્રયાસ કરવામાં આવશે. કાશ્મીરી અલગતાવાદીઓનું કહેવું છે કે, તપાસ સંસ્થા દ્વારા કાશ્મીરી લોકોના વિભાજન અને મૂલ્યાંકન તરીકે તેમને ગણાવી રહ્યા છે. અલગતાવાદી નેતાઓ જે ધરપકડ વ્હોરનાર છે જેમાં સઈદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિકનો સમાવેશ થાય છે. ઐતિહાસિક જામા મસ્જિદના પ્રાંગણમાં બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં મિરવાઈઝ અને મલિક દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. ગિલાનીએ ફોન ઉપર કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. એનઆઈએ દ્વારા દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને કેટલાક અન્ય કેસોના સંદર્ભમાં અલગતાવાદી નેતાઓ સાથે જોડાયેલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હુર્રિયત લીડર મિરવાઈઝે આક્ષેપ કરતા કહ્યું છે કે, સરકાર દ્વારા નેતાઓને હેરાન કરવા એનઆઈએનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બિઝનેસ નેતાઓ, વિદ્યાર્થી સમુદાયને હેરાન કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. શાંતિપૂર્ણરીતે દેખાવ કરી રહેલા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. મિરવાઈઝે કહ્યું હતું કે, અગ્રણી અલગતાવાદી લીડરો અને કાશ્મીરના બિઝનેસમેન સામે એનઆઈએ દ્વારા તપાસ કરાઈ રહી છે. કાશ્મીર મુદ્દાથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવાના હેતુસર આ પ્રયાસ થઇ રહ્યા છે.
સરકાર કાશ્મીર વિવાદનો ઉકેલ ઇચ્છતી નથી. હવે આનાથી ધ્યાન લોકોનું અન્યત્ર વાળવા પ્રયાસ થઇ રહ્યા છે. જેકેએલએફના વડા મલિકે કહ્યું છે કે, કાશ્મીરના લોકો ઉપર દર મહિને એકને એક મુદ્દા લાદી દેવામાં આવે છે. પહેલા કાશ્મીરી પંડિતોની કોલોનીનો મુદ્દો ત્યારબાદ અન્ય મુદ્દા અને હવે કલમ ૩૫એની નાબૂદીની ઇચ્છા સરકાર ધરાવે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ